"બોરોલીન" માત્ર ટ્યુબ નહિ પરંતુ એક સ્વતંત્રતા સૈનાની | "Borolin" is not just a tube but a freedom fighter

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આજે જેમ ચીન વિરોધી નીતિ માટે ભારતમાં એક અલગ સુર લોક દિમાગમાં ફરી રહ્યો છે ત્યારે ભારતના વિકાસને વેગ આપવા સરકાર અને પ્રજા એકસાથે મેડ ઈન ઇન્ડિયા અને મેક ઈન ઇન્ડિયા પર વજન આપી રહ્યા છે. આજ ઝુંબેશ અંતર્ગત ભારતમાં કેટલાય નાના-મોટા ધંધાઓ, ફેકટરીઓ, નવા આઈડિયાઓ પર કામ થવા લાગ્યા છે તેમજ કાચો અને પાકો માલ પણ ભારતમાં જ તૈયાર થાય તેવી વ્યવસ્થાઓ પણ થવા લાગી છે ત્યારે આવી કંઈક હવા ભારત આઝાદ થયું એ પહેલા પણ ચાલી હતી અને એ સમયે પણ લોક જાગૃતિની જ્વાળાઓ વચ્ચે ઘણા દેશભક્તોએ અનોખી રીતે દેશ આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું હતું જેનું એક દ્રષ્ટાંત "બોરોલીન ટ્યુબ" છે.

બોરોલીન ટ્યુબનો ઇતિહાસ

18મી સદીના અંત અને 19મી સદીની શરૂઆતથી જ અંગ્રેજોની જોહુકુમી અને અત્યાચાર વિરુદ્ધ સંપૂર્ણ દેશમાં ચળવળ ઠેક-ઠેકાણે શરુ થઇ ચુકી હતી. અંગ્રેજો ભારતમાં રહી વેપાર કરી પૈસો પોતાના દેશમાં ઠાલવવામાં કાંઈ બાકી રાખતા ન હતા તે હવે દરેક ભારતીય જાણવા લાગ્યા હતા. એ સમયમાં પણ આપણા દેશને આર્થિક ટેકો મળી રહે એ માટે સ્વદેશી અપનાવવા માટે મુહિમ ચાલુ થઇ ચુકી હતી. દેશની આઝાદી માટે ચળવળમાં સીધા ઉતરો કે દેશને આર્થિક રીતે મજબૂત કરો એ બન્ને દેશ સેવા જ ગણાય એ હેતુથી કોલકાતાના એક બંગાળી યુવક ગોરમોહન દત્તાએ એક સ્વદેશી કંપનીની શરૂઆત કરી. પહેલાથી જ કોસ્મેટિક સમાનને વિદેશથી ખરીદી ભારતમાં વેંચતા ગોરમોહન દત્તાને સ્વદેશી વસ્તુ જ બનાવવી અને ભારતને આર્થિક મજ્બુતતા આપવાનો વિચાર આવતા જ 1929 માં G. D. Pharmaceutical નામથી એક નાનો ઉદ્યોગ કલકત્તામાં શરુ કર્યો જેની પહેલી પ્રોડક્ટ બોરોલીન હતી. 

 

બોરોલીન નામ કેવી રીતે પડ્યું

ગોરમોહન દત્તા એક એવી પ્રોડક્ટ બનવવા માંગતા હતા કે જે વિવિધ જગ્યાઓમાં કામ આવી શકે જે માટે તેમને એવી પર્ફ્યૂમડ એન્ટિસેપ્ટિક ક્રીમ બનાવી કે જેની અંદર બોરીક એસિડ, ઝીંક ઓક્સાઇડ અને લેનોલીનનું મિક્સર હતું અને એટલે જ આ ક્રીમનું નામ બોરિક એસિડ અને લેનોલીન પરથી બોરોલીન રાખવામાં આવ્યું. આ ક્રીમ કોઈપણ પ્રકારના ઘાવ, ચીરા, ફાટેલા હોંઠ, ફાટેલી એડી અને કોઈપણ જગ્યાએ થયેલા ઇન્ફેક્શન માટે એક દવા જેવું કામ કરતુ હતું. આ સાથે આ ક્રીમને રોજબરોજની જિંદગીમાં પણ લોકો આફ્ટર શેવ કે મોસ્ચ્યુરાઇઝર તરીકે પણ વાપરવા લાગ્યા હતા. 

બોરોલીન ટ્યુબ ભારતમાં કેવી રીતે પ્રચલિત થઇ?

શરૂઆતી સમયમાં ગોરમોહન દત્તા અને તેનો સંપૂર્ણ પરિવાર રાતના સમયે આ ટ્યુબને ઘરે તૈયાર કરતા અને દિવસે કોલકતાની બજારની પોતાની દુકાનમાં આ ટ્યુબ વેચવાનો ધંધો કરતા. ધીમે-ધીમે આ ટ્યુબ કલકતામાં ખુબ પ્રચલિત થવા લાગતા અંગ્રેજોના ધ્યાનમાં પણ આવી હતી અને તેને અટકાવવાના પણ ઘણા પ્રયાસો થયા હતા પરંતુ સ્વદેશી બચાવો, સ્વદેશી અપનાવો મુહિમને કારણે લોકોનો લોકલ સપોર્ટ મળતા બોરોલીન માટે સફળતાનો ખુલ્લો માર્ગ મળી ગયો હતો. કલકતા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ પ્રચલિત બોરોલીન ટ્યુબને દેશવ્યાપી માર્કેટિંગ ભારતની આઝાદી વખતે મળ્યું જયારે બોરોલીન દ્વારા સંપૂર્ણ દેશના વિવિધ જગ્યાઓએ ભારત આઝાદ થવાની ખુશીમાં 1 લાખ બોરોલીન મફત વહેંચવામાં આવી હતી. ભારતની આઝાદી વખતે માત્ર બોરોલીન જ એકમાત્ર સંપૂર્ણ સ્વદેશી ક્રીમ હતી જે તેની ગુણવતાથી પણ ખુબ પ્રચલિત હતી. ભારતભરમાં આ ક્રિમે 1985 ની સાલ સુધી એકહથ્થુ રાજ કર્યું હતું.

આજે બોરોલીન ટ્યુબ અને કંપની કઈ હાલતમાં છે?

1985 ની સાલ સુધી ભારતમાં બ્યુટી ક્રીમ કે એન્ટિસેપ્ટિક ક્રીમની માર્કેટમાં ખુબ ઓછી પ્રોડક્ટ્સ હતી અને ત્યાં ક્વોલિટી અને ભાવથી બોરોલીનનો કોઈ તોળ હતો નહિ પરંતુ 1985 ની સાલ બાદ ગ્લોબલાઇઝેશન વધતા બહારથી અનેકો કંપનીઓ અને ભારતીય કંપનીઓ વચ્ચે હરીફાઈ ખુબ વધતા લોકો માટે સેકડો ઓપશન મળવા લાગ્યા હતા અને એ સમયે જ 1986 માં ગોરમોહન દત્તાના પુત્ર મુરારી મોહનનું અવસાન થતા કંપની તેના સૌથી મુશ્કેલ સમયમાં આવી ચુકી હતી. સમય પસાર થતા કંપની બીજી કંપની સાથેની સીધી હરીફાઈથી ઘણું શીખી હતી અને જે જોતા બોરોલીન દ્વારા પણ બીજી 7 પ્રોડક્ટ્સ બજારમાં ઉતારવામાં આવી હતી. આજે કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર 160 કરોડની આસપાસ છે અને ગોરમોહન દત્તાના પૌત્ર આ કંપનીને તેમની પત્ની સાથે સંભાળી રહ્યા છે. 2029 આવતાની સાથે આ કંપની તેના 100 વર્ષ પૂર્ણ કરશે પરંતુ આટલા વર્ષોથી પોતાની ગુણવતાને ટકાવી રાખતી કંપનીને આપણા સપોર્ટની પણ એટલી જ જરૂર છે. મેક ઈન ઇન્ડિયા કે મેડ ઈન ઇન્ડિયા ત્યારે જ હકીકત બનશે જયારે બોરોલીન જેવી સેકડો કંપનીઓ અને પ્રોડક્ટ્સને આપણે વિદેશી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ સાથે સરખાવવાનું બંધ કરી ભારતીય પ્રોડક્ટ્સને અપનાવવાનું શરૂ કરીશું. 


 

જય હિન્દ.. જય ભારત... 

 

Video Source: Live Hindi (YouTube Channel)
Image Courtesy: Google Images

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

વિશ્વની અજાયબીમાં શામિલ કરી શકાય તેવું કૈલાશા મંદિર | Kailasha Temple, one of the wonders of the world

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આપણે જાણીએ જ છીએ કે પ્રાચીન ભારત તેના ભવ્ય વારસા માટે દુનિયાભરમાં પ્રચલિત હતું. એક સમયે વિશ્વભરની 70% સંપત્તિ માત્ર ભારત પાસે જ હતી અને તેથી જ અંગ્રેજો પણ ભારતને સોનાની ચીડિયાથી જ ઓળખતા હતા. ભારતભરમાં છેલ્લા હજારો વર્ષોમાં કેટલાય વિદેશી આક્રમણકારીઓ આવ્યા અને પોતપોતાની રીતે આવી લૂંટી જતા રહ્યા તો ઘણાએ આ ભૂમિને પોતાની માતૃભૂમિ તરીકે સ્વીકારી પણ લીધી. આજે અર્વાચીન ભારતમાં આવા ઘણા સ્થાપત્યો, તીર્થો, મહેલો અને ઇમારતો અડીખમ ઉભી છે અને વિશ્વભરથી સહેલાણીઓને આકર્ષિત પણ કરી રહી છે ત્યારે ભારતમાં એવા મંદિરો અને સ્થાપત્યો પણ હજુ મોજુદ છે જેનો ઇતિહાસ પ્રાચીન સમયનો છે. 

કૈલાશા મંદિર-ઈલોરા

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી ઇલોરાની ગુફાઓમાં એક રહ્સ્યમયી શિવ મંદિર આવેલું છે જે ખરેખર આપણા દેશની અજાયબી જેવું છે. આ મંદિરની બનાવટ ઉપરથી પથ્થરને કોતરતા કોતરતા બનાવવામાં આવેલું છે. આ મંદિર વિશ્વભરમાં એક બેનમૂન મંદિર છે કેમકે આ મંદિરનો આકાર, મોટો કદ અને તેમાં થયેલી કોતરણી અને કારીગરી વિશ્વભરમાં એકમાત્ર બનાવે છે. આ મંદિરની ઊંચાઈ 32.6 મીટર એટલે કે 107 ફૂટ જેટલી છે. આ મંદિર બનાવવા માટે એકજ મોટી પથ્થરની શિલાનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તે જોતા જ માલુમ પડી જાય છે. ઇલોરાની આ ગુફાઓમાં 35થી વધુ જૈન, બૌદ્ધ અને હિન્દૂ મંદિરો કોતરણી દ્વારા બનવવામાં આવેલા છે જેમાંનું કૈલાશા મંદિર સૌથી મોટું છે.  

શું છે ઇલોરાની ગુફાઓ? અને શું છે તેનો ઇતિહાસ?

ઇલોરાની ગુફાઓને UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા મળેલી છે જે વિશ્વભરની આવી પ્રાચીન જગ્યાઓનું રક્ષણ તેમજ રિસર્ચ કરવા માટેની સંસ્થા છે. આ ગુફાઓ છઠ્ઠી થી દસમી સદીમાં બનેલી હોવાનું વૈજ્ઞાનિકો અને આર્કિઓલોજીસ્ટનું માનવું છે. આ જગ્યામાં અંદાજિત 100 થી વધુ ગુફાઓ છે જે તે સમયના રાજવી અને લોકો દ્વારા એક મોટા પથ્થરને કાપી બનાવવામાં આવી છે. આ ગુફામાંથી 34 ગુફાઓ લોકો માટે ખુલ્લી મુકાયેલી છે જેમાંથી 17 હિન્દૂ ધર્મને લગતા ચિત્રણ અને સંસ્કૃતિ દર્શાવતી ગુફાઓ છે. 12 ગુફાઓ બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે જયારે 5 ગુફાઓમાં જૈન ધર્મને લગતા શિલ્પીઓ કોતરવામાં આવી છે. આ કોતરણી અને કારીગરી એકબીજાથી એટલી જોડતી અને નજીક દર્શાવામાં આવી છે જે એ સમયની સાંપ્રદાયિક એકતાને દર્શાવે છે. વૈજ્ઞાનિકો દ્વારા એવું મનાય છે કે ઈલોરાની ગુફાઓ અને દરેક કારીગરી એ સમયના રાષ્ટ્રકુટા રાજવીઓ દ્વારા હિન્દૂ અને બૌદ્ધ ધર્મની મહાનતા દર્શાવવા કોતરવામાં આવી હશે ત્યારે યાદવા રાજવંશના સમયમાં જૈન ગુફાઓ અને કોતરણી કરવામાં આવી હશે. ઈલોરા નામ તેના પ્રાચીન નામ એલોપુરમ પરથી લેવામાં આવ્યું છે.

ગુફા નમ્બર 16 શા માટે ખાસ છે?

કહેવાય છે કે રાષ્ટ્રકુટા રાજવીઓ દ્વારા એક મહાન શિવ મંદિર બનાવવાના હેતુથી જ આ ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેથી 16 નંબરની ગુફાના પટાંગણમાં અદભુત આર્કીટેક, એંજીન્યરિંગ અને સચોટ માપનથી પથ્થરને તેની ટોંચથી કોતરણીથી શરુ કરી છેક તેના પાયા સુધી કોતરકામ કરી હજારો મોટા પથ્થરોને કોતર્યાં હોઈ તેટલો કપચાને બહાર કાઢતા એક એવું નિર્માણ બન્યું કે જે ખરેખર અદભુત છે. તે અન્ય હિંદુ મંદિરોની જેવા જ દેખાવ સાથે એક દરવાજાનો ભાગ, એક એસેમ્બલી હોલ અને એક બહુમાળી મુખ્ય મંદિર છે જે ચોરસના સિદ્ધાંત અનુસાર અસંખ્ય મંદિરોથી ઘેરાયેલું છે. પરિક્રમા માટે એક સંકલિત જગ્યા, ગર્ભગૃહ જેમાં શિવ લિંગ તથા અંદરના ભાગની પણ ઉત્કૃષ્ટ કોતરણી તેમજ કૈલાશ પર્વત જેવા જ દેખાવ આપવાના પ્રયત્ન સાથે સંપૂર્ણ મંદિરને એક જ ખડકમાંથી કોતરવામાં આવ્યું છે.

આ મંદિરનું કદ કેવડું છે?

આ મંદિરની ઊંચાઈ 32.6 મીટર એટલે કે 107 ફૂટ જેટલી છે તથા સંપૂર્ણ પરિસર એક નાના ક્રિકેટ ગ્રાઉન્ડ જેટલી સાઈઝનું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ મંદિર બનાવવા માટે 30 લાખ વર્ગ ફૂટ જેટલા પથ્થરોને કોતરી બહાર કાઢવામાં આવ્યા હોવા જોઈએ જેનો અંદાજિત વજન 2લાખ ટન જેટલો થયો હશે. આ મંદિરનું આંગણું પાયામાં 82 મીટર X 46 મીટર અને 30 મીટર ઊંચુ (280 × 160 × 106 ફૂટ) છે. મંદિરના પટાંગણમાં શિવજીનું વાહન નંદી પણ આવેલા છે જે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરની આસપાસ મોટા હાથીની કોતરણી તેમજ, દરેક હિન્દૂ ભગવાનની મૂર્તિઓ, મહાભારત અને રામાયણ દર્શાવતી દીવાલો આ મંદિરને ખરેખર વિશ્વની એક અજાયબી તરીકે ખ્યાતનામ કરવા પૂરતું જ છે.


 Image Courtesy: Google Images

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

ભારતનું સૌથી જૂનું શહેર કે જેનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો મનાય છે - "વારાણસી" | The oldest city in India with a history of 5000 years - "Varanasi"

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

એક સર્વે મુજબ ભારતના 35% લોકો શહેરોમાં વસવાટ કરે છે જે વિશ્વભરના ટકાવારી મુજબ ખુબ ઓછા છે. 2010 ના એક સર્વેમાં વિશ્વભરના 56% લોકો શહેરોમાં વસવાટ કરી રહ્યા છે જેમાં અમેરિકા જેવા દેશના 86% લોકો માત્ર શહેરો વસવાટ કરે છે. સંખ્યાની દ્રષ્ટિએ ચીન અને ભારતમાં અમેરિકા કરતા પણ વધુ લોકો શહેરમાં જીવન જીવે છે પરંતુ ચીન અને ભારતની જનસંખ્યા ખુબ વધુ છે એટલે ટકાવારીની દ્રષ્ટિએ અમેરિકાનું શહેરીકરણ ભારત કરતા ક્યાંય વધુ કહી શકાય. આપણે ખુબ સારી રીતે જાણીએ છીએ કે ભારત હોઈ કે વિશ્વનો કોઈપણ દેશ, લોકો પોતાનું વતન અને ગામડું છોડી મોટા શહેરોમાં શા માટે વસવાટ કરવા આવતા હોઈ છે. ધંધા-રોજગાર, પૈસા, સુખ-સગવડ અને જીવન ધોરણ એ બધી વાતો પર  નિર્ભર રહેતા પોતાના જન્મસ્થાનનો લોકો ભોગ આપી દેતા હોઈ છે. આપણને લાગતું હશે કે આ શહેરીકરણ નજીકના સમયમાં અને આજના આધુનિક યુગમાં જ લોકોના જીવનમાં આવ્યો હશે પરંતુ એ વાત હકીકત નથી કેમકે આજે આપણે જાણવાના છીએ ભારતના એવા શહેર વિષે કે જેનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો છે અને ઇસ.પૂર્વે 1000 સુધીના નક્કર પુરાવાઓ આ શહેરના અસ્તિત્વની સાક્ષી પણ પુરાવે છે. 

"વારાણસી" જે નામ કદાચ ભારતની આઝાદી વખતે શહેરને મળ્યું છે પરંતુ એ પહેલા "બનારસ" તરીકે અને પ્રાચીન સમયથી "કાશી" તરીકે વિશ્વભરમાં વિખ્યાત શહેર વિશ્વનું 10 મુ સૌથી જૂનું શહેર માનવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં આવેલું વારાણસી શહેર ગંગા કિનારાનું એવું પ્રાચીન શહેર છે જેને વિશ્વ 1100 B.C. થી ઓળખે છે. આ શહેરનો ઉલ્લેખ માત્ર ભારતીય ઐતિહાસિક નોંધો અને પુસ્તકો પૂરતો સીમિત નથી. દેશ-વિદેશના અનેકો લેખ, પુસ્તકો દ્વારા પુષ્ટિ મળી છે કે સૌથી જૂનો ધર્મ અને સંસ્કૃતિઓ વારાણસી સાથે જોડાયેલી છે. 

વિશ્વના 10 સૌથી જૂના ધર્મોમાંથી ત્રણ ધર્મો માત્ર ભારતની આ ભૂમિ પરથી સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલા છે. હિન્દૂ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. વારાણસીના ઇતિહાસની જયારે વાત આવે ત્યારે હિન્દૂ ધર્મનું આજનું સૌથી મોટું તીર્થ તો આ શહેર છે જ પરંતુ બૌદ્ધ ધર્મ માટે પણ આ શહેર આગવું મહત્વ રાખે છે. ઇતિહાસકારોનું માનવું છે કે ભગવાન બુદ્ધે ધર્મ ચક્રને લગતો તેમની જિંદગીનો પહેલો ઉપદેશ આજ શહેરમાં આપ્યો હતો જે પાલી ભાષામાં અંકિત થયેલો હતો.

હિન્દૂ માન્યતા મુજબ વારાણસી શહેર ભગવાન શિવ દ્વારા સ્થપાયેલું હતું. શિવજી દ્વારા બ્રમ્હાજીના પાંચમા મસ્તિસ્કને ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું જે આ સ્થળે જ હાથમાંથી પડી ગાયબ થયું હતું. મહાભારતના યુદ્ધ બાદ પણ પોતાનાથી થયેલા પાપોના પ્રાયશ્ચિત માટે પાંડવો આજ સ્થળે આવેલા હતા જે તે સમયની આ શહેરના પવિત્રતાની સાક્ષી આપે છે. પૌરાણિક સમયથી આપણી ભૂમિ પર આવેલા સાત પવિત્ર શહેરો (સપ્ત પુરી) કે જે મોક્ષ પ્રદાન કરી શકે છે તેમાંથી એક કાશી છે. અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, અવંતિ અને દ્વારકા એ સાત શહેરો છે જે મુક્તિ આપનાર તરીકે ઓળખાય છે.

હિન્દૂ સંસ્કૃતિમાં જેનો મહત્તમ ફાળો ગણી શકાય તેવા આદિ શંકરા જેને આપણે શંકરાચાર્યના નામથી જાણીએ છીએ તેઓ દ્વારા આઠમી સદી દરમિયાન વારાણસીના આજ પાવન શહેરથી હિન્દૂ સંપ્રદાય તરીકે શિવની ઉપાસનાની સ્થાપના કરી હતી. શંકરાચાર્યે એ સમયમાં પણ આજે વૈજ્ઞાનિકની દ્રષ્ટિથી ગણાતા ગણિત, વિજ્ઞાન અને તત્વ જ્ઞાનના અનેકો તથ્યો રજુ કર્યા હતા. 

2014 માં આ શહેરમાં અનેકો જગ્યાએ આર્કોલોજી વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવતા ઇસ.પૂર્વે 1800 વર્ષ જૂની કલાકૃતિઓ મળી આવી હતી જે એ સમયની આ સ્થળની મહાન સભ્યતા અને ભવ્ય વારસાની પુષ્ટિ આપે છે. પ્રાચીન સમયમાં વારાણસી એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું હતું જે તેના મલમલ અને રેશમી કાપડ, અત્તર, હાથીદાંતના કામો અને શિલ્પ માટે પ્રખ્યાત હતું.

મધ્યકાલીન યુગમાં દસમી સદી દરમિયાન બનારસ બીજું સૌથી મોટું પાટનગર તરીકે પ્રસ્થાપિત થયું હતું. મધ્ય યુગ દરમિયાન વારાણસી બૌદ્ધિકો અને ધર્મશાસ્ત્રીઓ માટે પ્રવૃત્તિનું કેન્દ્ર રહ્યું હતું, જેણે ધર્મ અને શિક્ષણના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે તેની પ્રતિષ્ઠામાં વધુ ફાળો આપ્યો હતો. 13મી સદીના અંતમાં  જન્મેલા કબીર અને 15 મી સદીમાં જન્મેલા રવિદાસ કે જેઓ સામાજિક-ધાર્મિક સુધારક, રહસ્યવાદી, કવિ, પ્રવાસી અને આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેઓ આ જ શહેરમાં રહેતા હતા અને એક સમયે ચામડા ઉદ્યોગમાં નોકરી કરતા હતા. 15મી સદીની શરૂઆતમાં પ્રથમ શીખ ધર્મ ગુરુ નાનકજી સાહેબ પણ મહાશિવરાત્રી પર્વ પર આ શહેરની મુલાકાતે આવ્યા હતા. 

મુગલ સામ્રાજ્ય અને બ્રિટિશ સામ્રાજ્યના સમયમાં પણ વારાણસી કે ત્યારે બનારસના નામથી જણાતું આ શહેર કોઈને કોઈ રીતે પોતાનું વજૂદ સાબિત કરી શક્યું હતું અને ઘણા મંદિરો અને ભવનોના નિર્માણ પણ એ સમયમાં થયા હતા. આજે 2000 થી વધુ નાના-મોટા મંદિરો આ શહેરમાં મોજુદ છે અને હિન્દૂ ધર્મમાં અતિ પવિત્ર ગણાતી ગંગા નદીનો ઘાટ આજે પણ કરોડો હિન્દૂ શ્રદ્ધાળુને પોતાની તરફ ખેંચે છે. મોક્ષની પ્રાપ્તિ માટે કે પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે આજે પણ કાશી, બનારસ કે વારાણસી હિન્દૂ ધર્મના લોકો માટે ખુબ મહત્વ રાખે છે. 

જે સ્થળ પર હિન્દૂ આસ્થા કેન્દ્રિત હોઈ તેમજ હજારો વર્ષોનો બહુ મૂલ્ય ઇતિહાસ તેની સાક્ષી પૂરાવતો હોઈ તે જગ્યાનો લ્હાવો એક વખત તો લેવો જ જોઈએ. ફરવાના સ્થળોની જયારે વાત આવતી હોઈ ત્યારે પિક્ચરોમાં સાંભળિ કે જોઈ વેકેશનમાં નીકળી જઈએ છીએ ત્યારે આપણા વેદોમાં પણ જે જગ્યાનો ઉલ્લેખ હોઈ તથા વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ દુનિયા પણ જેને મહત્વ આપતી હોઈ તેવા સ્થળ પર આ જિંદગીમાં એક વખત જવું ખરેખર આપણું સ્વપ્ન હોવું જોઈએ.

Dr. Hardik B. Ramani (B.E., M.Tech., M.B.A., Ph.D.)

Managing Director,

Genius Public School,

Cambridge Group (School & Hospital)

 

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice