by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
એક સર્વે મુજબ ભારતના 35% લોકો શહેરોમાં વસવાટ કરે છે જે વિશ્વભરના ટકાવારી મુજબ ખુબ ઓછા છે. 2010 ના એક સર્વેમાં વિશ્વભરના 56% લોકો શહેરોમાં વસવાટ કરી રહ્યા છે જેમાં અમેરિકા જેવા દેશના 86% લોકો માત્ર શહેરો વસવાટ કરે છે. સંખ્યાની દ્રષ્ટિએ ચીન અને ભારતમાં અમેરિકા કરતા પણ વધુ લોકો શહેરમાં જીવન જીવે છે પરંતુ ચીન અને ભારતની જનસંખ્યા ખુબ વધુ છે એટલે ટકાવારીની દ્રષ્ટિએ અમેરિકાનું શહેરીકરણ ભારત કરતા ક્યાંય વધુ કહી શકાય. આપણે ખુબ સારી રીતે જાણીએ છીએ કે ભારત હોઈ કે વિશ્વનો કોઈપણ દેશ, લોકો પોતાનું વતન અને ગામડું છોડી મોટા શહેરોમાં શા માટે વસવાટ કરવા આવતા હોઈ છે. ધંધા-રોજગાર, પૈસા, સુખ-સગવડ અને જીવન ધોરણ એ બધી વાતો પર નિર્ભર રહેતા પોતાના જન્મસ્થાનનો લોકો ભોગ આપી દેતા હોઈ છે. આપણને લાગતું હશે કે આ શહેરીકરણ નજીકના સમયમાં અને આજના આધુનિક યુગમાં જ લોકોના જીવનમાં આવ્યો હશે પરંતુ એ વાત હકીકત નથી કેમકે આજે આપણે જાણવાના છીએ ભારતના એવા શહેર વિષે કે જેનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો છે અને ઇસ.પૂર્વે 1000 સુધીના નક્કર પુરાવાઓ આ શહેરના અસ્તિત્વની સાક્ષી પણ પુરાવે છે.
"વારાણસી" જે નામ કદાચ ભારતની આઝાદી વખતે શહેરને મળ્યું છે પરંતુ એ પહેલા "બનારસ" તરીકે અને પ્રાચીન સમયથી "કાશી" તરીકે વિશ્વભરમાં વિખ્યાત શહેર વિશ્વનું 10 મુ સૌથી જૂનું શહેર માનવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં આવેલું વારાણસી શહેર ગંગા કિનારાનું એવું પ્રાચીન શહેર છે જેને વિશ્વ 1100 B.C. થી ઓળખે છે. આ શહેરનો ઉલ્લેખ માત્ર ભારતીય ઐતિહાસિક નોંધો અને પુસ્તકો પૂરતો સીમિત નથી. દેશ-વિદેશના અનેકો લેખ, પુસ્તકો દ્વારા પુષ્ટિ મળી છે કે સૌથી જૂનો ધર્મ અને સંસ્કૃતિઓ વારાણસી સાથે જોડાયેલી છે.
વિશ્વના 10 સૌથી જૂના ધર્મોમાંથી ત્રણ ધર્મો માત્ર ભારતની આ ભૂમિ પરથી સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલા છે. હિન્દૂ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. વારાણસીના ઇતિહાસની જયારે વાત આવે ત્યારે હિન્દૂ ધર્મનું આજનું સૌથી મોટું તીર્થ તો આ શહેર છે જ પરંતુ બૌદ્ધ ધર્મ માટે પણ આ શહેર આગવું મહત્વ રાખે છે. ઇતિહાસકારોનું માનવું છે કે ભગવાન બુદ્ધે ધર્મ ચક્રને લગતો તેમની જિંદગીનો પહેલો ઉપદેશ આજ શહેરમાં આપ્યો હતો જે પાલી ભાષામાં અંકિત થયેલો હતો.
હિન્દૂ માન્યતા મુજબ વારાણસી શહેર ભગવાન શિવ દ્વારા સ્થપાયેલું હતું. શિવજી દ્વારા બ્રમ્હાજીના પાંચમા મસ્તિસ્કને ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું જે આ સ્થળે જ હાથમાંથી પડી ગાયબ થયું હતું. મહાભારતના યુદ્ધ બાદ પણ પોતાનાથી થયેલા પાપોના પ્રાયશ્ચિત માટે પાંડવો આજ સ્થળે આવેલા હતા જે તે સમયની આ શહેરના પવિત્રતાની સાક્ષી આપે છે. પૌરાણિક સમયથી આપણી ભૂમિ પર આવેલા સાત પવિત્ર શહેરો (સપ્ત પુરી) કે જે મોક્ષ પ્રદાન કરી શકે છે તેમાંથી એક કાશી છે. અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, અવંતિ અને દ્વારકા એ સાત શહેરો છે જે મુક્તિ આપનાર તરીકે ઓળખાય છે.
હિન્દૂ સંસ્કૃતિમાં જેનો મહત્તમ ફાળો ગણી શકાય તેવા આદિ શંકરા જેને આપણે શંકરાચાર્યના નામથી જાણીએ છીએ તેઓ દ્વારા આઠમી સદી દરમિયાન વારાણસીના આજ પાવન શહેરથી હિન્દૂ સંપ્રદાય તરીકે શિવની ઉપાસનાની સ્થાપના કરી હતી. શંકરાચાર્યે એ સમયમાં પણ આજે વૈજ્ઞાનિકની દ્રષ્ટિથી ગણાતા ગણિત, વિજ્ઞાન અને તત્વ જ્ઞાનના અનેકો તથ્યો રજુ કર્યા હતા.
2014 માં આ શહેરમાં અનેકો જગ્યાએ આર્કોલોજી વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવતા ઇસ.પૂર્વે 1800 વર્ષ જૂની કલાકૃતિઓ મળી આવી હતી જે એ સમયની આ સ્થળની મહાન સભ્યતા અને ભવ્ય વારસાની પુષ્ટિ આપે છે. પ્રાચીન સમયમાં વારાણસી એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું હતું જે તેના મલમલ અને રેશમી કાપડ, અત્તર, હાથીદાંતના કામો અને શિલ્પ માટે પ્રખ્યાત હતું.
મધ્યકાલીન યુગમાં દસમી સદી દરમિયાન બનારસ બીજું સૌથી મોટું પાટનગર તરીકે પ્રસ્થાપિત થયું હતું. મધ્ય યુગ દરમિયાન વારાણસી બૌદ્ધિકો અને ધર્મશાસ્ત્રીઓ માટે પ્રવૃત્તિનું કેન્દ્ર રહ્યું હતું, જેણે ધર્મ અને શિક્ષણના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે તેની પ્રતિષ્ઠામાં વધુ ફાળો આપ્યો હતો. 13મી સદીના અંતમાં જન્મેલા કબીર અને 15 મી સદીમાં જન્મેલા રવિદાસ કે જેઓ સામાજિક-ધાર્મિક સુધારક, રહસ્યવાદી, કવિ, પ્રવાસી અને આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેઓ આ જ શહેરમાં રહેતા હતા અને એક સમયે ચામડા ઉદ્યોગમાં નોકરી કરતા હતા. 15મી સદીની શરૂઆતમાં પ્રથમ શીખ ધર્મ ગુરુ નાનકજી સાહેબ પણ મહાશિવરાત્રી પર્વ પર આ શહેરની મુલાકાતે આવ્યા હતા.
મુગલ સામ્રાજ્ય અને બ્રિટિશ સામ્રાજ્યના સમયમાં પણ વારાણસી કે ત્યારે બનારસના નામથી જણાતું આ શહેર કોઈને કોઈ રીતે પોતાનું વજૂદ સાબિત કરી શક્યું હતું અને ઘણા મંદિરો અને ભવનોના નિર્માણ પણ એ સમયમાં થયા હતા. આજે 2000 થી વધુ નાના-મોટા મંદિરો આ શહેરમાં મોજુદ છે અને હિન્દૂ ધર્મમાં અતિ પવિત્ર ગણાતી ગંગા નદીનો ઘાટ આજે પણ કરોડો હિન્દૂ શ્રદ્ધાળુને પોતાની તરફ ખેંચે છે. મોક્ષની પ્રાપ્તિ માટે કે પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે આજે પણ કાશી, બનારસ કે વારાણસી હિન્દૂ ધર્મના લોકો માટે ખુબ મહત્વ રાખે છે.
જે સ્થળ પર હિન્દૂ આસ્થા કેન્દ્રિત હોઈ તેમજ હજારો વર્ષોનો બહુ મૂલ્ય ઇતિહાસ તેની સાક્ષી પૂરાવતો હોઈ તે જગ્યાનો લ્હાવો એક વખત તો લેવો જ જોઈએ. ફરવાના સ્થળોની જયારે વાત આવતી હોઈ ત્યારે પિક્ચરોમાં સાંભળિ કે જોઈ વેકેશનમાં નીકળી જઈએ છીએ ત્યારે આપણા વેદોમાં પણ જે જગ્યાનો ઉલ્લેખ હોઈ તથા વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ દુનિયા પણ જેને મહત્વ આપતી હોઈ તેવા સ્થળ પર આ જિંદગીમાં એક વખત જવું ખરેખર આપણું સ્વપ્ન હોવું જોઈએ.
Dr. Hardik B. Ramani (B.E., M.Tech., M.B.A., Ph.D.)
Managing Director,
Genius Public School,
Cambridge Group (School & Hospital)
No comments:
Post a Comment